પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાનમાં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબ માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે. ભારત દેશમાં પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા. ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’એ કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.
પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે પંજાબ માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે પંજાબ નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ કરડવા કુર્મી અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ લેયા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર હિન્દુસ્તાન માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત માં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે.કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજી નુ મંદિર ઉંઝામા આવેલુ છે તથા લેઉવા પાટીદારો ના કુળદેવી મા ખોડલ નું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે છે.
પાટીદાર શબ્દનું મૂળ
ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.
- પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું , પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.